ખોરાકી ઝેરની આશંકા, પશુ તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું, પશુપાલક માથે આભ ફાટ્યું
ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઇવે માર્ગ પર આવેલી સીમમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેર (ફૂડ પોઇઝનિંગ)ની અસરના કારણે ટપોટપ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે પશુપાલક પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મંડલોપ ગામના પશુપાલક મનુ નટા ઠાકોરના પશુઓ ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલા એક ખેતરમાં ચારો ચરવા માટે ગયા હતા. તે દરમિયાન ચારો ચરતી વખતે અચાનક પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે એક પછી એક પશુઓ જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યા હતા.મૃત્યુ પામેલા પશુઓમાં 6 ગાંભણ ભેંસ અને 2 નાના પાડાનો સમાવેશ થાય છે. આ ઘટના દરમિયાન અન્ય 4 ભેંસોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પશુ ચિકિત્સક ડો. જીગર ચૌધરીએ જણાવ્યું હતું કે,પ્રાથમિક તપાસ અને તારણ મુજબ પશુઓના મોત ખોરાકી ઝેરની અસરના કારણે થયા હોવાનું જણાઈ રહ્યું છે. બચેલી 4 ભેંસોને સમયસર પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે.મૃત્યુ પામેલા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ કારણની પુષ્ટિ થઈ શકશે.એક સાથે 8 પશુઓના અકાળે મોત થવાના કારણે પશુપાલક પરિવાર પાયમાલ થઈ ગયો છે. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં તેમને રૂ. 6 લાખથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જીવનનિર્વાહના મુખ્ય સાધન સમાન પશુઓ ગુમાવતા પીડિત પરિવારે સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય વળતર અને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે.





