સિદ્ધપુરમાં પૈસાના જૂના હિસાબ બાબતે એક વકીલ પર લોખંડના છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.રાત્રિના સમયે પોતાના ઘરે જઈ રહેલા વકીલને મંગલદીપ સોસાયટીના એક રહીશે રોકીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં વકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સિદ્ધપુરની હરસિદ્ધ નગર સોસાયટીમાં રહેતા વકીલ ૨ મે ના રોજ રાત્રિના સમયે શંકરપુરાથી પોતાના ઘરે એક્ટિવા પર જઈ રહ્યા હતા. શંકરપુરા અને હરસિદ્ધ નગરસોસાયટી વચ્ચે મંગલદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શ્રીમાળીએ તેમને રોક્યા હતા. સુરેશભાઈએ વકીલ સાથે મજીયારાના પૈસાના હિસાબ બાબતે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો.ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા સુરેશભાઈએ વકીલને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથાના ભાગે લોખંડના છરા વડે હુમલો કર્યો હતો.વકીલે પોતાનો બચાવ કરવા માટે છરો પકડવાનો પ્રયાસ કરતા તેમને જમણા હાથના અંગૂઠા અને ડાબા હાથની બે આંગળીઓમાં પણ ઈજાઓ થઈ હતી.
વકીલે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે આરોપી સુરેશભાઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જતા પહેલા તેમણે વકીલને "આજે તો બચી ગયો છે પણ હવે પછી જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી.લોહીલુહાણ હાલતમાં વકીલને અન્ય એક વ્યક્તિ દ્વારા એક્ટિવા પર સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને માથાના ભાગે ૧૭ ટાંકા આવ્યા છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





