ગુજરાતમાં ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને કતલ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે 'ગાય સન્માન અભિયાન' હવે પ્રચંડ વેગ પકડી રહ્યું છે. આ મુહિમના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતે ગૌભક્તો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌવંશના રક્ષણ માટે જનસમર્થન દર્શાવતા ૫૪,૦૦૦ થી વધુ સહીઓ ધરાવતા અરજી પત્રકો ડીસા નાયબ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા.
આ આવેદનપત્રમાં રાજ્યપાલને ૮ મુદ્દાનું માંગણીપત્ર પણ સુપરત કરવામાં આવ્યું છે. જેમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને સંબોધીને એક વિસ્તૃત માંગણી પત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાયને 'રાષ્ટ્ર માતા' નો દરજ્જો આપવા સહિતના મહત્વના ૮ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ગૌને 'રાષ્ટ્ર માતા' અથવા 'રાષ્ટ્ર આરાધ્યા' તરીકે ઘોષિત કરવાની કેન્દ્રને ભલામણ કરવી.તેમજ બંધારણની કલમ ૪૮ માં સુધારો કરી 'કેન્દ્રીય ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ' લાગુ કરવો અને ગૌહત્યા માટે આજીવન કેદની સજાની જોગવાઈ કરવી.તમામ કતલખાનાઓના લાયસન્સ રદ કરી ગૌહત્યાને બિન-જામીનપાત્ર ગુનો બનાવવો.પ્રાકૃતિક ખેતી માટે છાણ-મૂત્રના સંશોધનને વેગ આપવો અને સરકારી યોજનાઓ તેમજ મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો જ ઉપયોગ કરવો.
દરેક ગ્રામ પંચાયતમાં 'નંદી શાળા' અને જિલ્લા સ્તરે 'ગૌ અભયારણ્ય'ની સ્થાપના કરવી. હાઈવે પર ઘાયલ પશુઓ માટે 'કાઉ એમ્બ્યુલન્સ' શરૂ કરવી. શાળાના અભ્યાસક્રમમાં 'ગૌ વિજ્ઞાન' વિષય દાખલ કરી નવી પેઢીને ગૌવંશના વૈજ્ઞાનિક મહત્વથી માહિતગાર કરવી.જેવા મુદા સામેલ છે.અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રાચીન સમયની સરખામણીએ પશુઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગૌવંશ એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. 'ગાય સન્માન અભિયાન' દ્વારા શૂન્ય ખર્ચની ખેતી અને ઝેરમુક્ત આહાર દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ડીસાના માર્ગો પર ઉમટેલી મેદની અને હજારો નાગરિકોની સહીઓ એ વાતની સાક્ષી પૂરે છે કે હવે ગુજરાતનું જનમાનસ ગૌવંશના કાયમી સંરક્ષણ માટે મક્કમ છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને રાજ્યપાલ આ દિશામાં કેવા ઐતિહાસિક નિર્ણયો લે છે ?





