કલેક્ટરએ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
રાજ્યભરમાં સરકારી આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુઘડ અને આદર્શ બનાવવા માટે તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ દરમિયાન ‘નમો સ્વચ્છતા અભિયાન’ વેગવંતું બન્યું છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ‘સ્વચ્છતા અપનાવો, સ્વસ્થ સમાજ બનાવો’ના સુત્ર સાકાર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરના આયુષ્માન આરોગ્ય મંદિર, ઇલોલની મુલાકાત લઈ તબીબી સેવાઓ અને સ્વચ્છતાની પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ મુલાકાત દરમિયાન હોસ્પિટલના પરિસરની સઘન તપાસ કરી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલો માત્ર રોગના ઉપચારનું કેન્દ્ર નથી પરંતુ પવિત્રતા અને સ્વચ્છતાનું પણ ધામ હોવું જોઈએ તેમજ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ભાવ સાથે જો હોસ્પિટલનું વાતાવરણ સુધડ અને હરિયાળું હશે તો દર્દીઓ અડધી બીમારીથી મુક્ત થઈ જશે. આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરએ આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને કચરાના વૈજ્ઞાનિક વર્ગીકરણ, પ્લાસ્ટિક મુક્ત પરિસર અને નિયમિત જંતુનાશક સફાઈ કરવા અંગે જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી.





