GPCB અને સ્થાનિક ઉદ્યોગોના સહયોગથી તીર્થધામોમાં કલર કોડેડ ડસ્ટબીન મુકાયા; સપ્તર્ષિ નદીના પટમાંથી ૧૦ ટ્રેક્ટર કચરો દૂર કરાયો
શ્રદ્ધા સાથે સ્વચ્છતા: સાબરકાંઠાના પવિત્ર ધામોમાં કાપડની થેલીઓનું વિતરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનવા ભાવિકોને અપાઈ સમજણ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), હિંમતનગર દ્વારા “સ્વચ્છ તીર્થસ્થાન – પવિત્ર ગુજરાત અભિયાન” અંતર્ગત ગત ૩૧ ઓગસ્ટના રોજ સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ ભોલેશ્વર તીર્થ તથા સપ્તેશ્વર તીર્થસ્થાન ખાતે વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ઉદ્યોગગૃહો અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણના જતનનો સંદેશ વહેતો કરવાનો હતો. આ અભિયાન દ્વારા દર્શનાર્થે આવતા હજારો ભાવિકોને “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્રને સાર્થક કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
તીર્થસ્થાનોમાં કચરાનું સ્ત્રોત પરથી જ યોગ્ય વિભાજન થાય તે હેતુથી GPCB દ્વારા સ્થાનિક ઉદ્યોગોના સહયોગથી મંદિર પરિસરમાં કલર કોડેડ ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા અંતર્ગત લીલા રંગના ડસ્ટબીનમાં ભીનો તથા જૈવિક રીતે વિઘટન પામતો કચરો અને ભૂરા રંગના ડસ્ટબીનમાં સૂકો તથા પુનઃપ્રક્રિયા (રિસાયકલ) કરી શકાય તેવો કચરો નાખવા અંગે ભાવિકોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ચુસ્ત પાલન થાય અને પવિત્ર સ્થળો પર કચરાના ઢગલા ન થાય તે માટે આ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.





