વાવ અને થરાદના બે મિત્રોના મોતથી અરેરાટી; આપઘાતનું કારણ અકબંધ
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં યુવકોએ ઝંપલાવ્યાની ઘટનામાં આજે વહેલી સવારે બંને યુવકોના મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના અંધારાને કારણે શોધખોળ સ્થગિત રાખ્યા બાદ સવારે ફરીથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે લાંબી શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં એક યુવક વાવ તાલુકાનો અને બીજો થરાદ તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને પરસ્પર મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, બંને યુવકોએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું ? તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





