ભાજપે ઓડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવ્યા
અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રાજ્યના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી મનોજ નિનામા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા અને જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં તેમણે કેસરીયો ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, મનોજ નિનામાએ તાજેતરમાં જ પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને જાહેર જીવનમાં આવવાનો નિર્ણય કર્યો હતો, જેના પર આજે મહોર વાગી ગઈ છે.
મનોજ નિનામાની ગણના એક શિસ્તબદ્ધ અને બાહોશ અધિકારી તરીકે થતી હતી. સર્વિસના બાકીના વર્ષો છોડીને તેમણે લોકોની સેવા કરવાના હેતુથી સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. શામળાજી જેવા પવિત્ર સ્થળેથી તેમણે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે, જે આગામી ચૂંટણીઓમાં અરવલ્લી અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં ભાજપ માટે મજબૂત પક્ષ સાબિત થઈ શકે છે.
મનોજ નિનામાએ પોલીસ દળમાં લાંબો સમય સેવા આપ્યા બાદ જ્યારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું ત્યારે જ અટકળો તેજ થઈ હતી કે તેઓ ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે. આજે ભાજપમાં જોડાતી વખતે તેમણે સંકેત આપ્યો હતો કે વહીવટી તંત્રમાં રહીને જે કામગીરી કરી છે, હવે તેને રાજકીય મંચ પરથી લોકોના ઉત્થાન માટે આગળ વધારવી છે. પી.સી. બરંડા, જેઓ પોતે પણ પૂર્વ પોલીસ અધિકારી છે, તેમણે નિનામાને આવકારતા જણાવ્યું હતું કે તેમના આવવાથી પક્ષના સંગઠનને નવી મજબૂતી મળશે. ઉલ્લેખનીય છે કે મનોજ નિનામાંએ ત્રણ દિવસ અગાઉ રાજીનામુ આપ્યું હતું.અને હવે ભાજપે તેમને ઓડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.





