રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા11 જુલાઈ, 2025

ટેકનિકલ ટીમ સાથે બનાસકાંઠા કલેક્ટરએ રતનપુર-મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું

ટેકનિકલ ટીમ સાથે બનાસકાંઠા કલેક્ટરએ રતનપુર-મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું
બનાસકાંઠામાં નાના મોટા કુલ ૧૪૯ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે; તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે. જિલ્લા કલેકટર મિહિર પટેલએ ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર ૫૮ રતનપુર - મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સરકાર દ્વારા રતનપુર - મેરવાડા ખાતે નવીન બ્રીજ બનાવવા મંજૂરી અપાઈ હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જુલાઈ ૨૦૨૫ના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૪૭, પંચાયત વિભાગના ૨૮ તથા રેલ્વેના ૨૪ સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ ૧૪૯ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરાશે. તેમણે જણાવ્યું કે, ઇકબાલગઢ સ્થિત આવેલા ખારા બ્રીજ ખાતે મરામતની જરૂરિયાત હોઈ ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે. પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા વડગામ તાલુકામાં આવેલા સિસરાણા - ચિત્રોડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરએ ગઈકાલે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો આપ્યા હતા.

સંબંધિત સમાચાર