મહેસાણાથી પોતાના પુત્રના ઉચ્ચ અભ્યાસ અર્થે એક મહિના પહેલાં જ પાલનપુર સ્થાયી થયેલા પ્રિન્સિપાલ દંપતીનું પાલનપુર હાઈવે પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. મૂળ બહુચરાજી તાલુકાના ચાંદણકી ગામના વતની અને ચાણસ્માના મીઠાધરવા ગામની માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા અમિતભાઈ ભાઈલાલભાઈ પટેલ અને તેમના પત્ની ભાવનાબેનના અકાળે અવસાનથી બહુચરાજી સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
બહુચરાજીના હરગોવનપુરામાં રહેતા સેવાભાવી અગ્રણી ભાઈલાલભાઈ કેશવલાલ (ચાંદણકી)ના પુત્ર અમિતભાઈ પટેલ અગાઉ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી શુભ રેસીડન્સીમાં રહેતા હતા. તેઓ પોતાના પુત્રને ડૉક્ટર બનાવવા માંગતા હતા અને તેના આ સપનાને પૂરું કરવા માટે જ તેઓ માત્ર એક મહિના પહેલાં જ આખો પરિવાર મહેસાણાથી પાલનપુર રહેવા ગયો હતો. ગુરુવારે સવારે અમિતભાઈ અને તેમના પત્ની ભાવનાબેન પોતાના એક્ટિવા સ્કૂટર પર પાલનપુર હાઈવે પર આવેલી રામદેવ હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું. આ ભીષણ અકસ્માતમાં ભાવનાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રિન્સિપાલ અમિતભાઈને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન સહિતની સઘન સારવાર આપવા છતાં તબીબો તેમને બચાવી શક્યા નહોતા અને શુક્રવારે તેમણે પણ દમ તોડી દીધો હતો. મૃતક અમિતભાઈના પિતા ભાઈલાલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી બહુચરાજી વિસ્તારમાં દરેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં નિઃસ્વાર્થ ભાવે સક્રિય રહી નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ ઘડપણની લાકડી સમાન એકના એક પુત્ર અને પુત્રવધૂના અકાળ મોતથી વૃદ્ધ પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે અને તેઓ ભાંગી પડ્યા છે.





