કેટલાક વર - કન્યાઓના-બાલિક હોવાની આશંકા વચ્ચે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સમૂહ લગ્ન સમિતિને જન્મ ના આધાર પુરાવા રજુ કરવા નોટિસ ફટકારી
પાટણ શહેરના સુજનીપુર રોડ પર સુર્યાનગર ફાટકની બહાર ડોલફીન નજીક આદીવાસી ભીલ ગુજરાત સંગઠન દ્રારા આદીવાસી ભીલ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત અન્ય રાજયના મળી કુલ 131 નવદંપતિઓએ આદીવાસી પરંપરા મુજબ સમાજ આગેવાનો સહિત રાજકીય- સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં લગ્ન ગ્રંથીના બંધને બંધાયા હતાં. આ સમૂહ લગ્નમાં જોડાનાર નવદંપતિઓને ઉપસ્થિત સમાજના દાતા પરિવારો સહિતના મહાનુભાવોએ રૂડા આશીર્વાદ સાથે વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
જોકે પાટણ ખાતે આયોજિત આ આદીવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં જોડાયેલા 131 નવદંપતિઓ પૈકી કેટલાક નવદંપતિઓ નાબાલિક હોવાની આશંકાને જોતાં અને આ બાબતે પાટણ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશભાઈ જોષીને જાણ થતાં તેઓએ આ બાબતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુરેશભાઈ વાગડોદિયાને જાણ કરી સમૂહ લગ્ન સ્થળે બંન્ને અધિકારીઓએ રૂબરૂ જઈને સમૂહ લગ્નના આયોજકોને મળી દરેક નવદંપતિઓના જન્મના આધાર પુરાવા રજુ કરવા જણાવ્યું હતું.
પરંતુ આ સમય દરમ્યાન સમૂહ લગ્ન સંપન્ન બન્યા હોવાથી બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશભાઈ જોષીની સુચનાથી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુરેશભાઈ વાગડોદિયા દ્રારા સમૂહ લગ્ન ના આયોજકોને સ્થળ પર જ લેખિતમાં નોટિસ આપી આદિવાસી ભીલ સમાજના કુલ 131 વર અને કન્યાઓના જન્મ ના આધાર પુરાવા તા. 29/06/26 ના રોજ કચેરીના સમય દરમ્યાન રજુ કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.





