પાણીના કહેરના કારણે થયેલ નુકશાનનું વળતર ચુકવવાની માંગ સાથે પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ ઉઠી
સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા વાઢીયા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ સર્વે, વળતર અને કાયમી નિકાલની માંગ કરી છે.ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. ઘરોની આસપાસ ગંદુ પાણી ભરાયેલું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, વરસાદ બંધ થયા પછી પણ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આના પરિણામે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.અનેક સ્થળોએ રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા છે,જેના કારણે અવરજવર પણ મુશ્કેલ બની છે.ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સરકારી નિયમો મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે. 





