ગાંધીનગર રહેતા શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી,સમાજમાં વિખવાદ ભડકાવવાનો ગુનો નોંધાયો
રાધનપુરમાં APMC ચેરમેન અને અન્ય સામાજિક આગેવાનો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકીઓ આપતો વીડિયો વાયરલ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર ખાતે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ચૌધરી સામે સમાજમાં દુશ્મનાવટ અને હુલ્લડ ભડકાવવાનો પ્રયાસ કરવા બદલ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાધનપુર APMCના ચેરમેન બાબુભાઈ રણછોડભાઈ ચૌધરી 02 ઓગસ્ટ, 2026ના રોજ સિદ્ધપુર ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત રેલી માંથી પરત ફર્યા ત્યારે તેમને એક વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં વિજયનગર ગામના અને હાલ ગાંધીનગર રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ચૌધરીએ ચૌધરી સમાજ
ના આગેવાનો વિરુદ્ધ અપશબ્દો બોલી ગંભીર આક્ષેપો અને ધમકીઓ આપી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો હેતુ ચૌધરી સમાજમાં અંદરો અંદર ઉશ્કેરાટ અને દુશ્મનાવટ વધારવાનો, સમાજમાં ભાગલા પાડવાનો તથા અન્ય સમાજ સાથે ઝઘડા થાય તેવો હતો. વીડિયોમાં નારણભાઈ અજુભાઈ ચૌધરી (રહે. અરજણસર), હરેશભાઈ હેમાભાઈ ચૌધરી અને ભારમલભાઈ ચૌધરી (બંનેરહે.વડલાળા), ડો.દેવજીભાઈ પટેલ (આસ્થા હોસ્પિટલ), વઢીયાર જતોડા વિભાગના પ્રમુખ ભવનભાઈ ચૌધરી તથા રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરી સહિતના આગેવાનો વિરુદ્ધ પણ બીભત્સ ગાળો બોલી જાહેરમાં ધમકીઓ આપવામાં આવી હતી.આ ઘટના અંગે બાબુભાઈ ચૌધરીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ભરતભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને તેમની સાથે સંડોવાયેલા અન્ય ઇસમો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 192, 296(b), 351(2), 352, 353(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





