ડીસામાં લાયસન્સ અને જીએસટી વગર ફટાકડાનું બેરોકટોક વેચાણ : તંત્રનું ભેદી મૌન

ડીસામાં લાયસન્સ અને જીએસટી વગર ફટાકડાનું બેરોકટોક વેચાણ : તંત્રનું ભેદી મૌન

ડીસામાં થોડા સમય અગાઉ ઢૂવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કાંડમાં મધ્યપ્રદેશના ૨૩ શ્રમિકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો અને સરકાર દ્વારા સીટની રચના કરીને તપાસના આદેશ અપાયા હતા. જો કે, આ ગંભીર દુર્ઘટનાના લાંબા સમય બાદ પણ મૃતક શ્રમિકોને હજી સુધી ન્યાય મળ્યો નથી પણ તંત્ર દ્વારા હજુ સુધી ફટાકડાના નવા લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા નથી. આ સમગ્ર ગંભીર માહોલ વચ્ચે ડીસા શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને બેરોકટોક ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે.

​પ્રાપ્ત માહિતી અને સ્થાનિક રાવ મુજબ, દિવાળી નજીક આવતા ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં દુકાનદારો સરેઆમ ફટાકડા વેચી રહ્યા છે. આ વેપારીઓ પાસે ફટાકડા વેચવા માટે અધિકૃત લાયસન્સ નથી. એટલું જ નહીં, આ વેચાણ જીએસટી બિલ વિના બારોબાર કરવામાં આવી રહ્યું છે. એક તરફ તંત્ર બ્લાસ્ટ કાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને નવા લાયસન્સ ઇશ્યૂ કરવા અંગે વિચારણા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કાયદાનો ડર રાખ્યા વિના કેટલાક વેપારીઓ દ્વારા આ રીતે ગેરકાયદેસર વેપાર ચલાવવામાં આવતા શહેરીજનોમાં અનેક સવાલો ઉભા થયા છે.

​ફટાકડા એ અતિ જ્વલનશીલ અને જોખમી સામગ્રી છે, જેના વેચાણ અને સંગ્રહ માટે ફાયર સેફ્ટી સહિતના કડક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પણ વગર લાયસન્સે વેચાણ થતાં, ફટાકડાનો સંગ્રહ સુરક્ષિત સ્થળે થાય છે કે નહીં તે અંગે કોઈ નિયંત્રણ રહેતું નથી, જે ફરી એકવાર મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. વળી, જીએસટી બિલ વિના વેચાણ થતાં સરકારને પણ મોટા પ્રમાણમાં મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે. ​બ્લાસ્ટ કાંડની ઘટના તાજી હોવા છતાં અને સીટની તપાસ ચાલી રહી હોવા છતાં, તંત્રની ઢીલી નીતિના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફૂલીફાલી રહી છે. ત્યારે સ્થાનિક નાગરિકોની માગ છે કે ડીસાનું તંત્ર તાત્કાલિક ધોરણે આવા લાયસન્સ વિના અને જીએસટી વિના ફટાકડા વેચતા વેપારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને કાયદાનું પણ પાલન થાય.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *