સરપંચો અને નાગરીકોની રજૂઆતો કાને ન ધરાતા ગ્રાન્ટ વેડફાઈ
અધિકારી – કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ પ્રથમ વરસાદે ખુલ્લી પાડી; ડીસા તાલુકાના બલોધર ગામે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા લોકોની રજૂઆતોના પગલે બાણ બ્રહ્માણી માતાજીના મંદિર સુધી એક કિલો મીટરનો ડામર રોડ મંજુર કરાયો હતો. પરંતુ આ રોડ બન્યાને હજી ચાર મહિના પણ થયા નથી અને રોડ પ્રથમ ચોમાસામાં જ સાઈડોમાંથી તૂટવાનો ચાલુ થઈ ગયેલ છે. સાઇડ ઉપર નામ પુરતા જ પથ્થર અને માટી કામ કરી કોન્ટ્રાક્ટર અને તેને લાગતા- વળગતા અધિકારીઓ રફુ ચક્કર થઇ ગયા હતા. જ્યારે રોડ બનતો હતો ત્યારે અહીંના જાગૃત સરપંચો નારણભાઈ જોષી (સોયલા) અને બચુજી ઠાકોર (બલોધર) અને નાગરીકો નટુભાઈ દેસાઈ અને સુરેશભાઈ પરમાર દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી હતી.રોડ બનતી વખતે નાળાના આર.સી.સી.માં તિરાડો પડી હતી.જેની જાણ કરાતા એમનું પાપ છુપાવવા માત્ર ડસ્ટનો પાવડર નાખ્યો હતો. એટલું જ નહીં, નબળા કામની ફરી રજુઆત કરતા કોન્ટ્રાક્ટર અને જે તે અધિકારીઓએ હજી કામ ઘણું બધું બાકી છે અને અમે કામ કમ્પલેટ કરાવીને જઈશું. તેવી લોલીપોપ આપી હતી.અને હલકી ગુણવત્તાના રોડનું તકલાદી કામ પૂરું કરી રાતોરાત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર રફુ ચક્કર થઇ ગયા હતા.
પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તે ઉક્તિ મુજબ જ્યારે રોડ તુંટવાનું ચાલુ થયું ત્યારે ત્યાંના એસ.ઓ.ને સરપંચ દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી ત્યારે એસ.ઓ.એ કહ્યું કે અમે આ કામ ફરી બે દિવસમાં રીપેર કરીશું પરંતુ આજ દિન સુધી કંઈ રીપેરીંગ થયું જ નથી. ઉલટાનું કહે છે કે અમે કોન્ટ્રાક્ટરનું બિલ રોકી રાખ્યું છે. જેથી વાડ જ ચિભડા ગળે તેવો ઘાટ ઘડાયો છે.જાગૃત સરપંચો અને નાગરિકોને પણ ન ગાંઠતાં આ અધિકારીઓના કારણે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં જાય છે અને ગ્રામીણ પ્રજા પાયાની સવલતોથી પણ વંચિત રહી જાય છે. તેનું આ ચાર મહિનામાં તૂટેલો રોડ ઉત્તમ ઉદાહરણ છે. જેથી ખુદ ઉદાર હૈયે ગ્રાન્ટ આપતી સરકાર પણ બદનામ થાય છે ત્યારે સરકારના ઉપરી અધિકારીઓ તટસ્થ તપાસ કરી ભય વગરના આચરાયેલ ભ્રષ્ટાચારને બહાર લાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવામાં પામી છે.કારણ આ રીતે અધિકારીઓ સરકારના રૂપિયા હજમ કરી જશે તો ક્યાંથી ગુજરાતના રોડના ખાડા પૂરાશે?? તેવો સવાલ પંથકમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે.


