મેરુ તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા ગ્રામજનો દ્વારા સહર્ષ વધામણાં કર્યાં
ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિ રહી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામમાં નર્મદાના નીર પહોંચતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ગામના મેરુ તળાવમાં નર્મદા નદીનું પાણી પહોંચતા ગ્રામજનો દ્વારા આનંદપૂર્વક તેનું વધામણું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ પાસે એકત્રિત થયા અને નર્મદા મૈયાના જળનું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિ રહી હતી. તેમના સાથે ગામના આગેવાનો તેમજ ડીસા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ મળીને નર્મદાના નીરના આગમનને આનંદ સાથે ઉજવ્યો હતો.

ગુજરાત સરકારે નર્મદા નદીના જળને વિરાટ કેનાલ નેટવર્ક દ્વારા દૂરદૂરના ગામડાં સુધી પહોંચાડવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પરિણામે આજે નર્મદાનું પાણી ઘરઘર અને ખેતરખેતર સુધી પહોંચતું બની રહ્યું છે. ત્યારે રવિવારે રસાણા મોટા ગામના મેરુ તળાવમાં નર્મદાનું પાણી પહોંચ્યુ હતું. આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી તળાવમાં ભરાતા આ વિસ્તારના ખેડૂતોને ભૂગર્ભમાં પણ મોટો ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે. જે ભવિષ્ય ની ખેતી માટે પણ મોટો ફાયદો થશે.