હિંમતનગર બાયપાસ રોડ પર વરસાદી પાણી ભરાતાં ટ્રાફિકજામની ગંભીર સમસ્યા: ધારાસભ્ય V.D. ઝાલા એક્શન મોડમાં, બ્રિજ અને માર્ગ કામગીરીનું કર્યું કડક નિરીક્ષણ
ચોમાસાની શરૂઆત સાથે જ હિંમતનગરમાં મોતીપુરાથી વિજાપુર અને અંબાજી બાયપાસ રોડ પર આવેલા હાથમતી નદીના ઓવરબ્રિજ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. બ્રિજ પર પાણીના નિકાલ યોગ્ય ન હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે અને વાહનચાલકો તથા સ્થાનિક જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ બાબતને ગંભીરતાથી લઈને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થળ પર પહોંચી આકસ્મિક મુલાકાત લીધી હતી અને સ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું હતું.ટેલિફોનિક વાતચીતમાં ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ઓવરબ્રિજ પર મોતીપુરા અને જિલ્લા પંચાયત બંને તરફથી પાણી સાથે માટીનો મોટો પ્રવાહ ઘસી આવે છે. હાલમાં પાણીના નિકાલ માટેના હોલ અપૂરતા છે, જેથી ઉપરથી નીચે સુધી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે વધારાના હોલ બનાવવાની તંત્રને આકરા શબ્દોમાં સૂચના આપી દેવામાં આવી છે."
આ ઉપરાંત, મોતીપુરા બાયપાસ રોડ પર વિદ્યાનગરીથી કાટવાડ-હાપા-તાજપુરી માર્ગ પર હાથમતી નદી પર ચાલી રહેલી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના બ્રિજ તથા રસ્તાની કામગીરીનું પણ ધારાસભ્ય એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કામગીરીની ધીમી ગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.પ્રજાહિતના આ અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં કોઈપણ જાતની બેદરકારી ચલાવી લેવાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપતાં, સંબંધિત વિભાગીય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નિર્ધારિત સમય મર્યાદામાં જ કામગીરી પૂર્ણ કરવા કડક આદેશ કરવામાં આવ્યા છે.





