સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક સદંતર અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતોના શિયાળુ અને ઉનાળુ પાકના ભવિષ્યને લઈને મોટી ચિંતા તોળાઈ રહી છે.ડેમમાં પાણી ન આવવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસમાં વરસાદનો અભાવ છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ ઉપરાંત, અંબાજી પંથક અને બાલારામ નદીના પટ વિસ્તારમાં પણ હજુ સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નથી. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય હોવાથી વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો હવે પછીના સમયમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાક તો મુશ્કેલીમાં મુકાશે જ, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર કરવું પણ આર્થિક રીતે ખેડૂતોને પરવડે તેમ નથી. ડેમમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ પણ પાતાળમાં જઈ રહ્યા છે. હાલમાં સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોની મીટ માત્ર ઉપરવાસમાં થનારા વરસાદ પર મંડાયેલી છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે મેઘરાજા રીઝશે અને દાંતીવાડા ડેમ છલોછલ ભરાશે, જેથી તેમનું આગામી વર્ષ સુરક્ષિત બની શકે.ચોમાસાના મધ્યમાં પણ દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર ૨૬.૨૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાં રહેલો આ મર્યાદિત જથ્થો હાલમાં માત્ર પીવાના પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ સીમિત છે. જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં પડે, તો સિંચાઈ માટે પાણી છોડવું તંત્ર માટે અશક્ય બની જશે.
દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
2 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
2 દિવસ પહેલા
