વડગામના લિંબોઈ ખાતે કાર્યરત સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગનું નામાભિધાન, ચૂંટાયેલા સમાજના અગ્રણીઓ અને દાતાઓના સન્માન સમારોહનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર દ્વારા સંચાલિત વડગામ તાલુકાના લીંબોઈ ખાતે આવેલા ગિરાબા કિશોરસિંહ હેદુજી સોલંકી વિદ્યાસંકુલમાં શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ, દાતા ઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષસ્થાને શનિવારે લીંબોઈ ખાતે આવેલા શ્રીમતી ગિરાબા કિશોરસિંહ હેદુજી સોલંકી વિદ્યાસંકુલ ખાતે શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગનું "માતૃશ્રી બાઇસાહેબબા મોહનસિંહ વાઘેલા" ના નામનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. આ કર્યક્રમમાં સંત પરમ પૂજ્ય યોગીરાજ રૂખડનાથજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમનું ઉદ્દઘાટન નટવરસિંહ મોહનસિંહ વાઘેલાએ કર્યું હતું. તો કર્યક્રમના મુખ્ય મહેમાન પદે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને સંકુલના દાતા અને સાહિત્યકાર કિશોરસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ મદારસિંહ હડિયોલ સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે આ સંસ્થામાટે દાન આપનાર દાતાઓનું અને તાજેતરમાં યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનો, માતાઓ, બહેનો વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. રતુજી રાણા અને ભીખુસિંહ પરમારે કર્યું હતું.





