સ્વચ્છ પર્યાવરણથી સારું આરોગ્ય, સુંદર શહેર અને સુખાકારીભર્યા સમાજનું નિર્માણ થશે
દેશમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ 'સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત અભિયાન' અંતર્ગત હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વૉડ નં-૧ માં એક વિશેષ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ સ્વયં હાથમાં જાડુ લઇ આ સફાઈ અભિયાનનો શુભારંભ કરી નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી અરુણાબેન કડીયાએ સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ સતત જાળવવાની જીવનશૈલી છે. સ્વચ્છ પર્યાવરણથી જ સારું આરોગ્ય, સુંદર શહેર અને સુખાકારીભર્યા સમાજનું નિર્માણ થઈ શકે છે. સૌના સહયોગથી હિંમતનગરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ આ તબક્કે વ્યક્ત કરવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત વોર્ડના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સામૂહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ ઉપસ્થિતોએ સ્વયંભૂ શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ વિશેષ સફાઈ અભિયાનમાં હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, આરોગ્ય વિભાગના ચેરમેન રાજુભાઈ દેસાઈ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી દિપકભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ '૧૨ વર્ષ મોદી સરકારના' વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ અભિયાનના ઇન્ચાર્જ શ્રી મીતેષભાઈ શાહ, વૉડ-૧ ના તમામ સાથી સદસ્યઓ, હોદ્દેદારઓ તેમજ સ્થાનિક અગ્રણી વડીલો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





