અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બીઆરસી ભવનનું મકાન ક્ષતિગ્રસ્ત બની ગયું છે. તેથી અહીં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર બન્યા છે. જેના કારણે ભવનનું મકાન નવું બનાવવાની લોક માંગ ઉઠવા પામી છે. કાંકરેજ તાલુકા મથક શિહોરીમાં જર્જરીત હાલતમાં ઊભેલું બીઆરસી ભવન રેસ્ટ હાઉસની બાજુમાં આવેલું છે. જે અત્યારે સમયના વહેણ સાથે ક્ષતિગ્રસ્ત અને જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઉભુ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ બાંધવામાં આવેલ બીઆરસી ભવનનું ઉદઘાટન તારીખ ૬ ડિસેમ્બર ૧૯૯૯ ના રોજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે કરવામાં આવેલ. જેને અત્યારે ૨૫ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. અત્યારે આ બીઆરસી ભવનના દરેક રૂમમાં છતના પોપડા ખરવા સાથે તિરાડો પણ પડી ગઈ છે.






