સાબરકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૬ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૨,૧૧૪ કેસોનો સમાધાનથી નિકાલ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA)ના આદેશ અનુસાર સમગ્ર દેશમાં તા. ૧૧-૦૭-૨૦૨૬ના રોજ વર્ષ-૨૦૨૬ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તમામ અદાલતોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ. એન. શેખ અને સચિવ સી.પી. ચારણના માર્ગદર્શન હેઠળ બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં હિંમતનગર તેમજ તાલુકા કોર્ટોના બાર એસોસિયેશનના પ્રમુખઓ, વકીલઓ, પક્ષકારો તેમજ અદાલતી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.લોક અદાલત દરમિયાન જિલ્લામાં મોટર અકસ્માત વળતર સંબંધિત કુલ ૨૦ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂ. ૧,૧૫,૪૨,૦૦૦/-નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત, જિલ્લામાં કાર્યરત મેજિસ્ટ્રેટઓ દ્વારા પેન્ડિંગ કેસો પૈકી લોક અદાલત તથા સ્પેશિયલ સિટિંગ અંતર્ગત કુલ ૪,૯૯૫ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો, જેની કુલ રકમ રૂ. ૮,૦૪,૬૬,૫૫૫/- થાય છે.આ ઉપરાંત ટ્રાફિક ઈ-ચલણ, બેંક લેણાં, વીજબીલ, પાણીબીલ, વીજચોરી, રેવન્યુ સહિતના વિવિધ પ્રિ-લિટીગેશન કેસોમાં કુલ ૭,૧૧૯ કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો, જેની કુલ રકમ રૂ. ૧,૬૮,૬૧,૨૯૦/- થાય છે. આમ, સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૨,૧૧૪ કેસોનો સમાધાનથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.





