રખેવાલ
બ્રેકિંગ
રાષ્ટ્રીય24 જુલાઈ, 2025

ભારતમાં પાંચ વર્ષમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં ૫૦%નો વધારો

ભારતમાં પાંચ વર્ષમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં ૫૦%નો વધારો
હૃદય રોગ ફક્‍ત વૃદ્ધો અને શહેરી લોકોને જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્‍તારોના લોકો અને યુવાનોને પણ અસર કરી રહ્યો છે : નબળી જીવનશૈલી, હાઈ બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોએ પણ ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધાર્યુ
ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્‍યાં હૃદય રોગથી પીડાતા દર્દીઓની સંખ્‍યા સૌથી વધુ છે. નબળી જીવનશૈલી, સ્‍થૂળતા, હાઈ બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોએ પણ ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધાર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગના દર્દીઓની સંખ્‍યામાં કેટલી ઝડપથી વધારો થયો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં હૃદય સંબંધિત દવાઓના વેચાણમાં ૫૦ ટકાનો વધારો થયો છે. મુંબઈ સ્‍થિત ફાર્માસ્‍યુટિકલ કંપની ફાર્મારેકના નવા અહેવાલ મુજબ, ૨૦૨૧ અને ૨૦૨૫ વચ્‍ચે હૃદય સંબંધિત દવાઓના વેચાણમાં ૫૦ ટકાનો વધારો થવાની ધારણા છે, જે હૃદયના દર્દીઓની સંખ્‍યામાં વધારો થવાનો પણ નિર્દેશ કરે છે. ભારતમાં હૃદયની દવાઓનું વેચાણ જૂન ૨૦૨૧માં ૧,૭૬૧ કરોડથી વધીને જૂન ૨૦૨૫ સુધીમાં ૨,૬૪૫ કરોડ થયું. આ આંકડો દર વર્ષે ૧૦.૭ ટકાના દરે વધી રહ્યો છે. આ રિપોર્ટ પછી, આરોગ્‍ય નિષ્‍ણાતો કોઈપણ વિલંબ વિના ભારતમાં હૃદય સંબંધિત જોખમો સામે કડક પગલાં લેવાની વાત કરી રહ્યા છે. દવાના વેચાણમાં વધારો વય જૂથોમાં હૃદયની સમસ્‍યાઓના વધતા વ્‍યાપને પ્રતિબિંબિત કરે છે, જેમાં લિપિડ ઘટાડવા, હૃદયની નિષ્‍ફળતા અને એન્‍ટિ-એન્‍જિનલ સારવાર માટે વપરાતી દવાઓના વેચાણમાં તીવ્ર વધારો જોવા મળ્‍યો છે. ચાલો તમને જણાવી દઈએ કે એન્‍ટિ-એન્‍જિનલ એટલે એવી દવાઓ અને સારવાર જેનો ઉપયોગ હૃદય રોગ સાથે સંકળાયેલા દુખાવાને દૂર કરવા અથવા અટકાવવા માટે થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‍સ બ્‍યુરોના આકસ્‍મિક મૃત્‍યુ અને આત્‍મહત્‍યા રિપોર્ટ અનુસાર, ૨૦૨૨ માં હૃદય રોગના હુમલાથી ૩૨,૪૫૭ લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. જ્‍યારે ૨૦૨૧ માં આ સંખ્‍યા ૨૮,૪૧૩ હતી. નિષ્‍ણાતો કહે છે કે આ ઝડપી વધારા માટે કેટલાક કારણો હોઈ શકે છે. આ વિશે વાત કરતા, ચાઇલ્‍ડ હાર્ટ ફાઉન્‍ડેશનના સ્‍થાપક ડૉ. વિકાસ કોહલીએ જણાવ્‍યું હતું કે, ડોક્‍ટરો રોગોને વહેલા શોધી રહ્યા હોવાથી હૃદયની દવાઓના પ્રિસ્‍ક્રિપ્‍શનમાં વધારો થયો છે. હવે, હૃદયની નિષ્‍ફળતા માટે દવાઓ અને સારવાર ખૂબ જ વહેલા શરૂ થઈ જાય છે.તેમણે વધુમાં કહ્યું, છેલ્લા પાંચ વર્ષમાં સેકયુબિટ્રિલ અને એપ્‍લેરેનોન જેવી દવાઓના વેચાણમાં ૮૩ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. અમે એમ્‍બ્રીસેન્‍ટન, સેલેક્‍સીપેગ અને ટેડાલાફિલ જેવી બાળકોની હૃદયરોગની દવાઓની માંગમાં વધારો જોયો છે, જે પલ્‍મોનરી હાયપરટેન્‍શન જેવા રોગોથી પીડાતા બાળકો માટે જીવનરક્ષક છે, તેથી વેચાણના આંકડામાં વધારો થયો છે. પરંતુ આ ખરેખર એ પણ સૂચવે છે કે દેશ હૃદય સ્‍વાસ્‍થ્‍ય સંકટના પ્રમાણને સમજી રહ્યો છે. આ બધાની સાથે, કાર્ડિયોલોજિસ્‍ટ્‍સ પણ ચિંતાજનક પરિવર્તનની ચેતવણી આપી રહ્યા છે. હૃદય રોગ હવે ફક્‍ત વૃદ્ધો પૂરતો મર્યાદિત નથી રહ્યો. ૩૦ અને ૪૦ વર્ષની ઉંમરના દર્દીઓમાં પણ તેનું નિદાન વધુને વધુ થઈ રહ્યું છે. ડૉ. કોહલીએ કહ્યું, બેમાંથી એક ભારતીય હાઈ બ્‍લડ પ્રેશર, હાઈ કોલેસ્‍ટ્રોલ, મેદસ્‍વીતા અથવા ડાયાબિટીસ જેવી જીવનશૈલી સંબંધિત સમસ્‍યાઓથી પીડાય છે. આ હવે વૃદ્ધો કે શહેરી જીવનશૈલી જીવતા લોકોની સમસ્‍યા નથી રહી. આવા ચિંતાજનક આંકડાઓને ધ્‍યાનમાં રાખીને, જાહેર આરોગ્‍ય નિષ્‍ણાતો ભાર મૂકી રહ્યા છે કે ધ્‍યાન નિવારણ (રોગ અટકાવવાના પ્રયાસો) પર હોવું જોઈએ. હૃદયના સ્‍વાસ્‍થ્‍ય અને જીવનશૈલીમાં પરિવર્તન અંગે જાગ્રુતિ વધારવાની સાથે નીતિઓ બનાવવાની પણ તાત્‍કાલિક જરૂર છે.      

સંબંધિત સમાચાર