90 દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ નહિ આવે તો વોર્ડનં-1ના નગરસેવીકાની આત્મવિલોપનની ચીમકી
રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરે વહીવટી તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો નિર્ધારિત સમયમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન જેવા પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ગટરના ગંદાપાણી રસ્તાઓ પર ફરી વળતા ગંદકી અને રોગચાળાનો ભય પણ વધ્યો છે.
નગરસેવીકા જયાબેન ઠાકોરે આ સમસ્યાઓ અંગે અગાઉ પણ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણથી સ્થાનિક જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.તેઓએ નગરપાલિકા અને સંબંધિત તંત્રને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગામી 90 દિવસમાં રોડ-રસ્તાનું સમારકામ અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે. તેમણે તંત્રને જગાડવા માટે આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.નગરસેવીકા ના આ આકરા વલણ બાદ હવે સમગ્ર રાધનપુરની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે. જોવાનું રહેશે કે તંત્ર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે છે કે પછી આંદોલનનો સામનો કરવો પડશે.
નગર સેવીકાની ચીમકી બાદ રાધનપુર ચીફ ઓફિસર પ્રજ્ઞા બેને જણાવ્યું હતું કે ‘જયાં બેન ઠાકોર ઘણા સમયથી ચૂંટાઈ ને આવ્યા છે પરંતુ તેમને અત્યારે જ આ સમસ્યા દેખાઈ છે. આ રજુઆત પહેલા પણ કરી શકતા હતા એમનો વિરોધ કરવાની રીત ખોટી છે. તેમના વિસ્તારમાં જ ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ ફેલ ગયો છે. ત્યાં ખુલ્લી ગટર છે અને તેના ઉપર દબાણ થઈ ગયા છે. અત્યારે રાધનપુરમાં પ્રિમોન્સૂન ની કામગીરી ચાલુ છે. નાળા અને મોટી લાઈનોની સફાઈ ચાલી રહી છે. કોઈ પણ કાર્યના રિઝલ્ટમાં સમય લાગે જેના લીધે હાલ સમસ્યા દેખાય છે.





