વારંવાર વીજળી ગુલ થતાં ખેડૂતો-ગ્રામજનોમાં રોષ; સ્ટાફની ભરતી, જંગલ કટિંગ ઝડપી કરવા અને કાયમી ઉકેલની માંગ
ચોમાસાની શરૂઆત સાથે જ વાવ તાલુકામાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગ્રામજનોએ ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી સાથે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 70 કિલોમીટર વિસ્તારમાં આવેલી થ્રી ફેઝ અને સિંગલ ફેઝ વીજ લાઈનો પર સમયસર જંગલ કટિંગ થતું નથી. ઉપરાંત ખાલી જગ્યાઓના કારણે પૂરતા ટેક્નિકલ સ્ટાફ અને હેલ્પરો ઉપલબ્ધ ન હોવાથી વીજ ખામી દૂર કરવામાં કલાકો લાગી જાય છે. આવેદનપત્રમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવા તેમજ જંગલ કટિંગના કોન્ટ્રાક્ટરને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.
વરસાદી મોસમમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી એકવાર વીજળી બંધ થાય તો તેને પુનઃસ્થાપિત કરવામાં 10થી 15 કલાક જેટલો સમય લાગી જાય છે, જેના કારણે ખેતી અને દૈનિક જનજીવન બંને પ્રભાવિત થઈ રહ્યા છે. વેજીયાવાસના એક યુવાને આક્ષેપ કર્યો હતો કે વરસાદ પહેલાં જ માલસણ ફીડર હેઠળ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. અનેક વખત ફોન કરવા છતાં કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી અને માત્ર એકબીજાનો સંપર્ક કરવા કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે માલસણ ફીડરમાં ક્યારેક બે-ત્રણ દિવસ સુધી પણ વીજ પુરવઠો મળતો નથી, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વીજ વિભાગ આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.





