ઐઠોરના ચામુંડા નગરમાં 'કેમ ટ્રેડર્સ' ફેક્ટરી સામે જનઆક્રોશ; કલેક્ટરને અપાયું આવેદનપત્ર
ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની અંતિમ ચીમકી
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલી એક કેમિકલ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલા અસહ્ય પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઐઠોરના ચામુંડા નગર વિસ્તારમાં કાર્યરત 'કેમ ટ્રેડર્સ' નામની આ ફેક્ટરી સામે તાકીદે કડક કાનૂની પગલાં ભરવાની માંગ સાથે ગ્રામજનોએ એકઠા થઈને મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.
સ્થાનિક નાગરિક હર્ષદ ઠાકોરના જણાવ્યા અનુસાર, આ કારખાનું છેલ્લા ઘણા વર્ષોથી આસપાસના સમગ્ર પર્યાવરણને દૂષિત કરી રહ્યું છે. ફેક્ટરીમાં કાળા રંગના ઓઈલ જેવા કોઈ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની ઝેરી અસરોને કારણે આસપાસના ૨૦૦ થી ૩૦૦ મીટરના દાયરામાં રહેતા પરિવારો, નિર્દોષ પશુઓ અને ખેડૂતોનું જીવવું દુષ્કર બની ગયું છે. પ્રદૂષિત હવા અને પર્યાવરણને લીધે આગામી સમયમાં કેન્સર જેવા જીવલેણ રોગો ફાટી નીકળવાનો ભય સ્થાનિકો સતાવી રહ્યો છે.
PMO અને CMO સુધી રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળ્યા છે.વારંવારની લેખિત ફરિયાદો છતાં કોઈ પરિણામ નહીં. આ વિકટ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતથી લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) મહેસાણા તેમજ ગાંધીનગર મુખ્ય મથક સુધી રજૂઆતો કરાઈ છે. એટલું જ નહીં, આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી લેખિતમાં વારંવાર ગુહાર લગાવવામાં આવી છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી ફેક્ટરીના માલિકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિવાદ નવો નથી, વર્ષ ૨૦૨૦માં પણ આ પ્રદૂષણકારી ફેક્ટરી વિરુદ્ધ કાયદેસરની FIR નોંધવામાં આવી હતી. જો કે, જે તે સમયે અદાલતી પ્રક્રિયા બાદ સંચાલકો જામીન પર મુક્ત થઈ ગયા હતા અને ફેક્ટરી ફરી ધમધમતી થઈ ગઈ હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની કામગીરી પર શંકા ઉઠાવતા ગ્રામજનોએ જણાવ્યું કે, અધિકારીઓ માત્ર સમયાંતરે ફેક્ટરીની મુલાકાત લઈને સેમ્પલ મેળવવાની ઔપચારિકતા પૂરી કરે છે, પરંતુ ફેક્ટરી બંધ કરાવવા માટે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.
સરકાર અને વહીવટી તંત્રની આવી ઘોર ઉદાસીનતા અને નકારાત્મક વલણથી કંટાળીને ઐઠોર ગામના નાગરિકોએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ટૂંક સમયમાં આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીને કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે, તો ન્યાય મેળવવા માટે ત્રસ્ત બનેલા રહીશો અંતે નાછૂટકે આત્મવિલોપન જેવું આત્યંતિક અને ઘાતક પગલું ભરવા માટે મજબૂર બનશે.





