શહેરમાં અડીખમ ઉભેલા વીજ થાંભલાઓ ભૂતકાળ બનશે
પાટણ વીજ કંપનીના બંને ડિવિઝનના અધિકારીઓ અને પાટણ નગરપાલિકા વચ્ચે એક બેઠક યોજાઈ હતી
પાટણ શહેર 100 ℅ અંડરગ્રાઉન્ડ કેબલિંગ સાથે ટુક સમયમાં વાયર ફ્રી બનશે જેથી શહેરમાં અડીખમ ઉભેલા વીજ થાંભલાઓ હવે ભૂતકાળ બનશે. આ પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંગે પાટણ વીજ કંપનીના બંને ડિવિઝનના અધિકારીઓ અને પાટણ નગરપાલિકા વચ્ચે એક બેઠક યોજાઈ હતી.ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં 'ગુજરાત વાયર ફ્રી સિટી મિશન'ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના'ગ્રીન અને સ્માર્ટ સિટી'ના વિઝનને સાકાર કરવા માટે લેવાયો છે.
આ મિશનમાં ઐતિહાસિક નગરી પાટણ શહેરનો પણ સમાવેશ થતા, આગામી સમયમાં સમગ્ર પાટણ શહેર વીજ થાંભલાઓથી મુક્ત બનશે. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)એ સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પાટણમાં અમલમાં મૂકવા કમર કસી છે.UGVCLના નાયબ ઈજનેરના જણાવ્યા અનુસાર, સમગ્ર પાટણ શહેરમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ DPR આગામી 20મી તારીખ સુધીમાં મંજૂરી અર્થે સરકારમાં સબમિટ કરી દેવામાં આવશે. પાટણ શહેરને 100 ટકા વાયર ફ્રી બનાવવા માટે વહીવટી સંકલન ખૂબ જરૂરી હોવાથી, UGVCL ના સિટી-1 અને સિટી-2 એમ બંને ડિવિઝનના નાયબ ઈજનેરોએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે એક ખાસ બેઠક યોજી હતી.આ બેઠક પાછળનું મુખ્ય કારણ એ છે કે, હાલમાં પાટણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો UGVCL ના વીજ થાંભલાઓ પર જ આધારિત છે. જ્યારે વીજ કંપની પોતાના વાયરો અંડરગ્રાઉન્ડ કરશે, ત્યારે પાલિકાની સ્ટ્રીટ લાઈટોને પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ સાથે જોડવી પડશે.
આ કામગીરી નગરપાલિકાના યોગ્ય સાથ-સહકાર અને પરામર્શ વિના શક્ય ન હોવાથી, બંને સરકારી વિભાગોએ સાથે મળીને આગોતરા આયોજન પર ચર્ચા શરૂ કરી છે. આ પ્રોજેક્ટ 21મી સદીના સ્માર્ટ અને સુરક્ષિત પાટણના નિર્માણ તરફ એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.આ પ્રોજેક્ટથી પાટણ સહિતના શહેરોની સુંદરતામાં તો વધારો થશે જ, પરંતુ સાથે સાથે સુરક્ષા પણ મજબૂત બનશે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાના કારણે ચોમાસામાં વાવાઝોડા કે ભારે પવન જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની હોનારતો બંધ થશે, કરંટ લાગવાના અકસ્માતોથી મુક્તિ મળશે,ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ નહિવત થઈ જશે,જેથી પાટણના નાગરિકોને કોઈપણ વિક્ષેપ વિના 24 કલાક ક્વોલિટી પાવર સપ્લાય (ગુણવત્તાયુક્ત વીજળી) મળતી રહેશે.





