પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી પહેલ કરી છે. તેમણે શહેરના મોતીશા દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના ખરાબ રસ્તા પરના ખાડાઓ પોતાના સ્વખર્ચે પૂરીને લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીત છોડીને જનહિતના કાર્યો પર ભાર મૂક્યો છે. મતવિસ્તારમાં ભ્રમણ દરમિયાન રસ્તાની બિસ્માર હાલત જોઈને ઉમેદવારોએ આ નિર્ણય લીધો હતો. વોર્ડ નંબર 9 ના ચાર ઉમેદવારો અલ્કેશભાઈ મનોરભાઈ પટેલ, સુભદ્રાબેન તરૂણભાઈ મોદી, ગીતાબેન દશરથજી ઠાકોર અને દિનેશભાઈ સેંધાભાઈ પટણી દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ઉમેદવારો અને કાર્યકરોએ પોતાની વ્યક્તિગત મૂડી ખર્ચીને ખાડાઓ પૂરવાનું કામ કર્યું.
આ ચાર ઉમેદવારોમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટણી અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ઠાકોર જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ વચનો આપતા હોય છે, ત્યારે આ ઉમેદવારોએ સીધું કામ કરીને પ્રચાર કરતા આ બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. આ પ્રચાર દ્વારા ઉમેદવારોએ સત્તા પર આવ્યા પહેલા પણ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ હોવાનો સંદેશ આપ્યો છે.





