પાટણ પોલીસે સગીરાના અપહરણ કેસમાં સગીરાને ગાંધીનગરથી મુક્ત કરાવી આરોપીને ઝડપી પાડ્યો છે.
સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 14 વર્ષ અને 7 માસની સગીરાનું અપહરણ થયું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી પાડી સગીરાને મુક્ત કરાવી છે.આ અંગે તા. 03/05/2026 ના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.સલીમ જમા રમજુ બોકેરાએ વહેલી સવારે 01:30 થી 06:00 વાગ્યાના સમયગાળામાં સગીરાનું તેના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સરહદી રેન્જ ભુજના આઈ.જી. ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને આરોપીને પકડવા સૂચના આપી હતી. જેના આધારે એઓજી.પીઆઈ જે.જી. સોલંકીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
પોલીસ ટીમોએ ભોગ બનનાર અને આરોપીના સગા-સંબંધીઓની પૂછપરછ હાથ ધરી હતી. ટેકનિકલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સચોટ બાતમી મળી હતી કે આરોપી અને સગીરા ગાંધીનગર ખાતે છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગાંધીનગર પહોંચી આરોપી સલીમ જમા રમજુ બોકેરાને ઝડપી લીધો હતો.અને સગીરાને સલામત રીતે મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પાટણ અને સાંતલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ રહ્યા હતા.





