પ્રશાસન પર પક્ષપાતના આક્ષેપ વચ્ચે આંદોલનની ચીમકી
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર એડવોકેટ સુશીલ લિમ્બાચીયાને સભા અને રેલી માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન મળતા વિવાદ સર્જાયો છે. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના વકીલો ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે અને પ્રશાસન સામે મોરચો માંડ્યો છે.
વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સુશીલ લિમ્બાચીયાએ પ્રશાસન પર કિન્નાખોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ તેમને વિવિધ પક્ષો તરફથી દબાણ અને લાલચ આપવામાં આવી હતી. તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.લિમ્બાચીયાના જણાવ્યા અનુસાર, કોઈપણ કાર્યક્રમની પરવાનગી માટેની અરજી છેલ્લી ઘડી સુધી રોકી રાખવામાં આવે છે.સભાના આગલા દિવસે નકારાત્મક રિપોર્ટ આપી મંજૂરી રદ કરવામાં આવે છે.
અગાઉ આયોજિત રેલીની પરવાનગી પણ વ્યાજબી કારણો વગર છેલ્લી ઘડીએ રદ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈએ વહીવટી તંત્ર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.ભોય સામે નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું કે, સુશીલ લિમ્બાચીયા વ્યવસાયે વકીલ છે અને તેમને પ્રચાર કરતા રોકવા માટે પ્રશાસન જાણી જોઈને મંજૂરી આપતું નથી. દેસાઈએ વધુમાં ઉમેર્યું કે, જે વિસ્તારમાં સભા યોજવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કે ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય તેવી શક્યતા નથી.તેમ છતાં વારંવાર પરવાનગી નકારીને બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. વકીલ મંડળે આ અંગે ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે.
વકીલ મંડળે અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 24 કલાકમાં ઉમેદવારને પ્રચાર અને સભા માટેની જરૂરી પરવાનગી નહીં મળે, તો પાટણના તમામ વકીલો કલેક્ટર કચેરી સામે ધરણા કરશે. જરૂર પડશે તો આમરણાંત ઉપવાસ પર પણ ઉતરશે.અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે વકીલ મંડળ અને હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જ આગળની લડત ચલાવશે. હાલમાં આ મામલે પ્રશાસનના કથિત દબાણ વચ્ચે પાટણનું રાજકારણ અને કાનૂની આલમ ગરમાયેલુ જોવા મળી રહ્યું છે.





