નિરાધાર સ્ત્રીની અડગ લડત સામે પાખંડીઓનો પરાજય
મે.એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ.હિરલ પી. જોષીએ સંભળાવી સખત સજા
સમાજમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડનાર અને દહેજ ભૂખી માનસિકતા ધરાવનારાઓ માટે પાટણની અદાલતે લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નજીવનના પાયામાં વિશ્વાસઘાત કરી, પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી અન્ય સ્ત્રીના મોહમાં અંધ બનેલા પતિ રાવલ ધવલભાઈ અને તેની સાગરીત ગોરલબેન ત્રિવેદીને અદાલતે ગુનેગાર ઠેરવી જેલની સજા ફટકારી છે.
સંબંધોનું ખૂન અને દહેજની લાલચકેસની વિગતો મુજબ, ૨૦૧૮માં લગ્ન ગ્રંથિથી જોડાયેલી પીડિતાને લગ્નના થોડા સમય બાદ જ પતિ ધવલભાઈના અન્ય સ્ત્રી(આરોપી નં.૨ ગોરલબેન) સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ હતી. પત્નીને રસ્તામાંથી હટાવવા માટે આ જોડીએ હીન કક્ષાની માનસિકતા અપનાવી હતી. પત્નીને ગંદી ગાળો આપી, મારઝૂડ કરી અને દહેજની માંગણી કરી માનસિક મરણતોલ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
અદાલતનો કડક હુકમ અને સજા પાટણના મે. એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ડૉ. હિરલ પી. જોષીએ બંને પક્ષોની દલીલો અને ડિજિટલ પુરાવાઓને ગ્રાહ્ય રાખી નીચે મુજબ સજાનો હુકમ કર્યો છે:
આરોપી નં. ૧ (પતિ - ધવલ રાવલ) ઇ.પી.કો. કલમ ૪૯૮(ક) (પત્ની પર ક્રૂરતા) મુજબ ૦૨ (બે) વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦,૦૦૦ દંડ. તેમજ કલમ ૫૦૪ હેઠળ અન્ય ૦૬ માસની કેદ અને રૂ. ૫,૦૦૦ દંડની સજા ફટકારી છે. જયારે આરોપી નં. ૨ (ગોરલબેન ત્રિવેદી) ને ઇ.પી.કો. કલમ ૫૦૪ અને ૧૧૪ હેઠળ ૦૬ (છ) માસની સાદી કેદ અને રૂ. ૫,૦૦૦ દંડની સજા ફરમાવી છે.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો આરોપીઓ દંડ ભરવામાં કસૂર કરશે તો તેમણે વધુ કેદ ભોગવવી પડશે. વળી, આરોપીઓ પાસેથી વસૂલાયેલી દંડની તમામ રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવાનો માનવીય અભિગમ પણ ન્યાયાધીશે દાખવ્યો છે.
આ કેસમાં પીડિત મહિલા વતી સરકારી વકીલ કે.સી.વકીલે મજબૂત દલીલો રજૂ કરી હતી. આ ઉપરાંત, સમગ્ર કાનૂની કાર્યવાહી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓના પ્રોડક્શનમાં પાટણના વિદ્વાન વકીલ પંકજ વેલાણીએ પાયાની મહેનત કરી કેસને મજબૂત બનાવ્યો હતો, જેના પરિણામે આરોપીઓની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
આ ચુકાદો સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા છે. પોતાની પત્નીનું જીવન નરક બનાવી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનારા પતિઓ માટે આ કડક સંદેશ છે. ડૉ. હિરલ પી. જોષીનો આ નિર્ણય દર્શાવે છે કે એક નિરાધાર સ્ત્રી પણ હિંમત અને સાચા પુરાવાઓથી ન્યાય મેળવી શકે છે. પાટણની અદાલતનો આ નિર્ણય મહિલાઓ માટે વિશ્વાસ અને આશાનું પ્રતિક બન્યો છે. અંતે સંબંધોમાં વિશ્વાસઘાત કરનારાઓ માટે જેલના સળિયા જ અંતિમ સ્થાન છે, તેવું આ ચુકાદાએ ફરી એકવાર પ્રસ્થાપિત કર્યું છે.





