ડીસાની શ્રીનાથ સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે પાણી નાખવા જેવી નજીવી બાબતે થયેલો વિવાદ ઉગ્ર બનતા ત્રણ લોકોએ મળીને એક પરિણીત મહિલા પર લાકડી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં ગર્ભવતી હોવા છતાં મહિલાને માર મારવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર ડીસાની શ્રીનાથ સોસાયટીમાં રહેતા છાયાબેન જયંતિભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૩૫) ગત તા. ૨૪ જૂનના રોજ પોતાના ઘરે હતા. સાંજના સમયે ગરમીના કારણે તેમણે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કર્યો હતો. આ સમયે પાડોશમાં રહેતા કનુભાઈ અમરાભાઈ પ્રજાપતિએ પણ ત્યાં પાણી નાખતા છાયાબેને તેમને આમ કરવાનું કારણ પૂછ્યું હતું. આ સામાન્ય પ્રશ્નથી ઉશ્કેરાઈને કનુભાઈએ છાયાબેનને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.વિવાદ વધતા કનુભાઈની પત્ની નીલુબેન અને રમીલાબેન હરેશભાઈ પ્રજાપતિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને કનુભાઈનું ઉપરાણું લઈ છાયાબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આક્ષેપ મુજબ, કનુભાઈએ પોતાના હાથમાં રહેલી લાકડી પત્ની નીલુબેનને આપી છાયાબેનને મારવા માટે ઉશ્કેર્યા હતા. ત્યારબાદ નીલુબેન અને રમીલાબેને ઘરમાં ઘૂસી છાયાબેનને લાકડીના વડે માર માર્યા હતા અને વાળ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો.જોકે તે દરમિયાન
બાજુમાં રહેતા મીઠીબેન જયંતિભાઈ પ્રજાપતિએ વચ્ચે પડીને છાયાબેનને વધુ મારથી બચાવ્યા હતા. જતા-જતા હુમલાખોરોએ છાયાબેનને "ઘર ખાલી કરીને જતા રહો, નહીં તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી હતી.ઘટના બાદ છાયાબેનના પતિ જયંતિભાઈએ તેમને તાત્કાલિક ડીસા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. છાયાબેન ગર્ભવતી હોવાથી તેમને શારીરિક ઈજાઓ પહોંચી છે. સ્વસ્થ થતા આજે છાયાબેને ડીસા પોલીસ સ્ટેશનમાં કનુભાઈ પ્રજાપતિ, નીલુબેન કનુભાઈ પ્રજાપતિ અને રમીલાબેન હરેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.





