સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા માસૂમ બાળક કેવલજી ઠાકોરના મોતનો ભેદ ઉકેલવામાં ઈડર પોલીસને સફળતા મળી છે. શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કને આધારે શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસની કડક પૂછપરછમાં ગામના જ આરોપી સાવનજી ઠાકોરે બાળકના અપહરણ બાદ તેની નિર્મમ હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલા તથ્યો અનુસાર, આરોપી અને પીડિત પરિવાર વચ્ચે પ્લોટ તથા જમીન-મિલકત અંગે લાંબા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. આ ઉપરાંત, સામેવાળા પરિવાર દ્વારા પોતાના પરિવાર પર જાદુટોણા અને અંધશ્રદ્ધા મારફતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની માન્યતાને કારણે આરોપીએ આ ઘાતકી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
એક વર્ષ અગાઉ મોટા ભાઈના રહસ્યમય મોત અંગે પણ પુનઃતપાસ શરૂ
આ કેસની તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી વિગત સામે આવી છે. આશરે એક વર્ષ અગાઉ આ જ પરિવારના મોટા પુત્ર અમિતજી ઠાકોરનો મૃતદેહ પણ ડેભોલ નદીમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. તે સમયે આ ઘટના અંગે વિવિધ પાસાઓ ધ્યાને રાખી તપાસ કરાઈ હતી, પરંતુ વર્તમાન કેસની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ વડા (SP) ના માર્ગદર્શન હેઠળ પોલીસે અમિતજીના મોત અંગે પણ ફરીથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ કડી જોડાયેલી છે કે કેમ અને તેમાં પણ આરોપીની ભૂમિકા હતી કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
ગામમાં સન્નાટો અને ભારે રોષ
એક જ પરિવારના બે માસૂમ પુત્રોના ટૂંકા ગાળામાં થયેલા મોતથી સમલાપુર ગામ સહિત સમગ્ર ઈડર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા આરોપી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.





