ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં પાયાની સુવિધાઓને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગામના એક ફાટિયા વિસ્તારમાં પાણીની સમસ્યા સાથે સફાઈનો પણ અભાવ હોવાની ફરિયાદો સામે આવી છે. જેના કારણે સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં નિયમિત રીતે સફાઈ ન થવાને કારણે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. બીજી તરફ, પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને રોજિંદા ઉપયોગ માટે મુશ્કેલી પડી રહી છે. પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સ્થળની સફાઈ કરાવી નિયમિત સફાઈ વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની આ રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગે છે અને ચોટીલ ગામના આ વિસ્તારમાં પાણી તથા સફાઈની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.





