વર્ષ 2022 થી વિદ્યાર્થીઓને રૂમને બદલે અન્ય જગ્યાએ ભણવાનો વારો,નવી મંજૂર શાળાની ઈમારતનું કામ ક્યારે ?
બે પાળીમાં શિક્ષણથી બાળકોના ભણતર પર માઠી અસર, તાત્કાલિક બાંધકામ શરૂ કરવાની માંગ રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના દાવા કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસલપુરા ગામની પ્રાથમિક શાળાની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. વર્ષ 2022 માં મંજૂર થયેલી નવી શાળાની ઇમારતનું બાંધકામ ત્રણ વર્ષ બાદ પણ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ આજે પણ પૂરતી સુવિધા વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાંકરેજ તાલુકાના કસલપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના આશરે 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને નવી ઇમારત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે શાળામાં મતદાન મથક હોવાથી બાંધકામ શરૂ થઈ શક્યું નહોતું. હવે મતદાન મથક ગામની આંગણવાડી ખાતે ખસેડવામા આવ્યું હોઈ સત્વરે કામ શરૂ કરવાની ગામલોકો માંગણી કરી રહ્યા છે.
સરકારના શિક્ષણના દાવા પોકળ : ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોએ સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક મંજૂર થયેલી નવી શાળાનું બાંધકામ શરૂ કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે સરકારના શિક્ષણના દાવા માત્ર જાહેરાતોમાં નહીં, પરંતુ ગામડાના બાળકોના જીવનમાં પણ સાચા અર્થમાં દેખાવા જોઈએ.





