રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા27 એપ્રિલ, 2025

બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ સુઇગામ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા જરૂરી

બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ સુઇગામ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા જરૂરી
જિલ્લા કલેક્ટરોના જાહેરનામાનો ભંગ થતો હોવાની રાવ પરપ્રાંતિય ઇસમોની શંકાસ્પદ ગતિવિધિઓથી રહીશોમાં રોષ; ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલ સંવેદનશીલ સુઇગામ બોર્ડરના નડાબેટ ટુરિઝમ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ બનાસકાંઠા અને પાટણ કલેક્ટરે વર્ષોથી રણ વિસ્તારમાં પરપ્રાંતિય લોકોના પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડેલ અને સ્થાનિક વિવિધ વિભાગોના વહીવટી તંત્રને જાહેરનામાની સુચનાઓનું કડક પાલન કરવાની સુચના પણ આપેલ તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવાની સત્તા પણ આપેલ છે. પરંતુ આ જાહેરનામાનો અમલ આ પંથકમાં થતો નથી. સુઇગામ બોર્ડરના રડોસણ ગામ નજીક હથિયાર સાથે દીન દહાડે ફાયરિંગની ઘટનાઓ પ્રતિબંધીત વિસ્તારમાં બનેલી છે. જેમાં મુસ્લિમ ધર્મનું પાલન કરી રહેલા પર પરપ્રાંતિય ઈસમો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યુ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એ સિવાય ગેરકાયદેસર પ્રવેશ કરી ચૂકેલા આ પરપ્રાંતિય ઈસમો ગેરકાનૂની ધંધા પણ કરતા હોવાનું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે. તેમ છતાં આ ઇસમોની કોઈ માહિતી બનાસકાંઠા કે પાટણ જિલ્લાના વહીવટી તંત્ર પાસે છે ખરા? તેવો સવાલ સ્થાનિક રહીશો ઉઠાવી જણાવી રહ્યાં છે કે, જિલ્લા કલેક્ટરોના જાહેરનામા અમલી હોવા છતાં પણ વહીવટી તંત્ર શું પહેલગામ આતંકવાદની ઘટનાનું પુનરાવર્તન થાય એની રાહ જોઈ રહ્યું છે? કે પછી માથાભારે પર પ્રાંતીય ઈસમોએ ખુલ્લેઆમ જોહુકમી દાખવીને વહીવટી તંત્ર ઉપર ભય ઉભો કર્યો છે? બનાસકાંઠા જિલ્લાની આ અતિ સંવેદનશીલ બોર્ડરના ઝીરો પોઈન્ટને સરકારે સરહદી લોકોના હિતમાં નડાબેટ બોર્ડર ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવેલ છે. જ્યાં પ્રવાસીઓની રોજીંદી અવરજવર રહે છે. પણ પરપ્રાંતિય ઇસમોની શકમંદ ગતિવિધિઓને લઈ પ્રવાસીઓ સાથે દેશની સુરક્ષા પણ જોખમાય તેમ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા અગમચેતી દાખવી અહીં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને જાહેરનામાનો કડક અમલ કરવામાં આવે તે જરૂરી છે.

સંબંધિત સમાચાર