ધાનેરા તાલુકા મા ગત વર્ષે 30 હજાર હેકટર મા થયું હતું રાયડા નું વાવેતર ચાલુ વર્ષ દરમિયાન શિયાળા ઋતુની શરૂઆત થઈ હોવા છતાં હજી સુધી ઉનાળાની અનુભૂતિ થઈ રહી છે. જેને લઇ સૌથી વધારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઠંડીનું પ્રમાણ ના હોવાના કારણે શિયાળાની ઋતુમાં થતાં રાયડો સહિતના પાકનો વિકાસ અટકાઈ ગયો છે. ધાનેરા તાલુકામાં શિયાળા ઋતુ દરમિયાન સૌથી વધારે રાયડાના પાકનું વાવેતર થાય છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ધાનેરા તાલુકામાં 30 હજાર હેકટર કરતા પણ વધારે જમીનમાં રાયડાનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષ દરમિયાન પણ ખેડૂતોએ શિયાળા ઋતુમાં વાવણી શરુ કરી છે. જેમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે. જેને 20 દિવસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં રાયડાના પાકમાં વિકાસ દેખાતો નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું માનીએ તો અત્યારનાં સમયમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે રાયડાનો પાક ઝડપી વિકાસ પામે છે. જો કે ચાલું વર્ષ દરમિયાન હજુ સુધી ઠંડીનો ચમકારો થયો નથી જેથી રાયડા સહિતના પાકો હજુ જમીનમાંથી બહાર આવ્યા નથી તેમ સેધાભાઈ તથા અશોકભાઈ પટેલ ખેડૂતે જણાવ્યું હતું.






