અષાઢ વદ અમાસથી શરૂ થઈ શ્રાવણ સુદ દશમ સુધી ભક્તિસભર માહોલમાં ઉજવાતા દશામાના ૧૦ દિવસીય પાવન વ્રતની ઠેર ઠેર પૂર્ણાહુતિ થઈ છે.
પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે માઈભક્તોએ અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે ઘરમાં માટીની મૂર્તિની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ-દીપ અને નૈવેધ્ય સાથે નિયમિત પૂજા-અર્ચના, આરતી તેમજ વ્રત કથાનું શ્રવણ કર્યા બાદ વિજયનગર તાલુકાના પાલ સ્થિત હાથમતી નદીના પટમાં માં દશામાની પ્રતિમાઓનું ભાવપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે પાલ, દઢવાવ, ચીતરીયા, મોતપુરા, આમોદરા, કોડીયાવાડા, બાલેટા, ગાડી, વાકડા, સામૈયા તેમજ પીપલોટી સહિતના આસપાસના ૧૫થી વધુ ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ગરબે ઘૂમતા અને જયઘોષ સાથે હાથમતી નદીના કિનારે પહોંચ્યા હતા. નદી તટે સૌ ભક્તોએ એકત્ર થઈ માતાજીની અંતિમ મંગળા આરતી ઉતારી હતી. અને આવતા વર્ષે વહેલા પધારવાના ભાવ સાથે ભીની આંખે મૂર્તિઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું, જેના પગલે સમગ્ર નદી પરિસર "જય દશામા"ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું





