પાટણની સેશન્સ કોર્ટે પત્નીની હત્યાના ગુન્હામાં સજા ફટકારી તો હાઇકોર્ટે નિર્દોષ છોડયો
વર્ષ 2013માં ચાણસ્મા પોલીસ મથકે એક પતિ સામે પત્નીની હત્યા અને અને ઘરેલુ હિંસા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ પાટણની સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા વર્ષ 2017માં કોર્ટે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.જેની સામે પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી,જે કેસમાં હાઈકોર્ટે પતિને નિર્દોષ છોડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેસની વિગતો જોતા દંપતીને તત્કાલીન સમયે 14 વર્ષનો દીકરો હતો. પત્ની અવાર નવાર રિસાઈને પિયરમાં આવતી હતી. પત્ની બહાર કામ કરતી હોવાથી તેનો પતિ તેની પર શંકા રાખીને તેને હેરાન કરતો હતો. પિયરીયા તેને સમજાવીને સાસરે મોકલી આપતા હતા. એક દિવસ પિયરીઓને પરિણીતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા.તેઓ સાસરીએ પહોંચતા મૃતક મહિલાના ગળા ઉપર નિશાન જોવા મળ્યા હતા અને જમાઈ ઘરે હાજર નહોતો. જેથી જમાઈએ જ પરિણીતાની હત્યા કરી નાખી છે. તેવી પોલીસ ફરિયાદ તેઓએ નોંધાવી હતી. પાટણની સેશન્સ કોર્ટે 25 સાહેદ અને 23 દસ્તાવેજી પુરાવાને આધારે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.પાટણની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યારે આ ઘટના બની ત્યારે પતિ અને પત્ની બંને ઘરમાં એકલા હતા. પતિ શરાબ પીવાની આદત ધરાવતો હતો. બીજી તરફ દલીલ કરાઈ હતી કે અગાઉ પત્નીને પતિ હેરાન કરતો હતો તેવી કોઈ ફરિયાદ નોધાઇ નથી.
આ કેસમાં કોઈ નજરે જોનારા સાહેદ નથી. જો કે ગળાના ભાગે નિશાન હોવાથી અને વૈજ્ઞાનિક પુરાવા મુજબ ગળા ઉપર દબાણ આવવાથી મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે આરોપી પતિને સજા કરવામાં આવી છે. જે સાક્ષીઓએ જુબાની આપી હતી, તેઓ મૃતકના સંબંધીઓ હતા. અને ઘટનાના કોઈ પ્રત્યક્ષ સાક્ષી નહોતા. આરોપીના પરિવારના સભ્યો હોસ્ટાઇલ થઈ ગયા હતા. જે પ્રોસિક્યુશનના કેસને નબળો પાડે છે, કોર્ટે ઘટનાને સાંકળતી ચેન અખંડ રહેતી નથી. તેમજ પ્રોશિક્યુશનના કેસ શંકાથી પરે સાબિત થતો નથી.તેમ જણાવી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.





