જાહેરમાં મારામારી બાદ કાર ફૂંકી મરાતા લોકોમાં ફફડાટ, શું પોલીસની પકકડ ઢીલી પડી ?
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ માથું ઊંચકી રહ્યો છે. પોલીસનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ લુખ્ખા તત્વો હવે જાહેર માર્ગો પર આતંક મચાવતા અચકાતા નથી. તાજેતરમાં બનેલી મારામારી અને કાર સળગાવવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. ડીસાના મુખ્ય માર્ગો પર આવારા તત્વોએ કોઈ જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આટલેથી ન અટકતા, આ તત્વોએ બેફામ બની એક કારને આગ ચાંપી દીધી હતી.
ધુમાડાના ગોટેગોટા અને સળગતી કાર જોઈને રાહદારીઓ અને સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. જે ડીસામાં પોલીસની ગાડી નીકળતા જ લુખ્ખા તત્વો ગલીઓમાં ભરાઈ જતા હતા, ત્યાં હવે સરેઆમ આતંક કેમ ? જાહેર માર્ગો પર આવી ઘટનાઓ બનતી હોય તો સામાન્ય જનતાએ ઘરની બહાર નીકળવું સુરક્ષિત છે ખરું ? જોકે રાત્રિ અને દિવસના સમયે થતું પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ છે કે શું ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જો આવા તત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી કડક બોધપાઠ ભણાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.તેમ સ્થાનિક રહીશે જણાવ્યું હતું.
ડીસાની શાંતિપ્રિય જનતા હવે ઈચ્છી રહી છે કે, પોલીસ તંત્ર ફરી એકવાર સક્રિય થાય અને લુખ્ખા તત્વોમાં કાયદાનો ભય પેદા કરે. શું પોલીસ આ ગંભીર ઘટના બાદ કડક હાથે કામ લેશે કે પછી અસામાજિક તત્વોનો આતંક આમ જ ચાલુ રહેશે ? તે જોવું રહ્યું.





