શ્રીજીને વાજતે ગાજતે પાલખીમાં બિરાજમાન કરી ગજાનન વાડી ખાતે લાવી સ્થાપન કરાયું
આખા ભારતમાં ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી. સૌપ્રથમ ગણેશ મહોત્સવ આજથી 149 વર્ષ પહેલા પાટણમાં શરૂ થયો હતો. આ પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા જાળવી રાખવામાં આવી છે. એશિયાના સૌથી જૂના 149 મા ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો અનંત ચતુર્થી સુધી ભક્તિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ઉજવશે.
ચતુર્થીના દિવસે અને મહોત્સવની શરૂઆતમાં મહારાષ્ટ્રીયન પરિવારો ગણેશજીની મૂર્તિ લેવા નીકળ્યા હતા. ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજુભાઈ દેવધરના ઘરેથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી ગજાનન વાડી ખાતે પૂરી થઈ હતી. અહીં મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજીની તેજસ્વી મૂર્તિનું વિધિપૂર્વક સ્વાગત કરાયું હતું. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ગણેશજીની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ગણેશ વાડીમાં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી આહવાન, પૂજન અને વિસર્જન, નવમી, દશમી, પરિવર્તની એકાદશી, શનિ પ્રદોષ, અનંત ચતુર્દશી, સત્યનારાયણ ભગવાનની પૂજા જેવા અલગ અલગ કાર્યક્રમો યોજાશે.





