પ્રાંતિજમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો; પર્યાવરણ અને યોગના સમન્વય પર ભાર અપાયો
સાબરકાંઠા જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકાના વદરાડના ઉમિયાધામ ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવું અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું સમયની આવશ્યકતા છે. વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવાની સાથે જળસંચય, શુદ્ધ હવા અને માનવજીવનના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે પર્યાવરણ અને જળ સંરક્ષણ સાથે યોગના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ બંને જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વૃક્ષ, પર્યાવરણ, જળ અને યોગને મહત્વ આપીને સ્વસ્થ અને સુખી સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે “એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ”નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી પણ આપણે સૌએ સ્વીકારવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવીને તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળો બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.





