રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા16 એપ્રિલ, 2025

બનાસકાંઠા જિલ્લામાં પાણી મુદ્દે ખેડૂતોનું આંદોલન; કાંકરેજ તાલુકાના ચાંગા પંપીગ સ્ટેશને ખેડૂતોએ રામધૂન બોલાવી

બનાસકાંઠા જિલ્લામાં પાણી મુદ્દે ખેડૂતોનું આંદોલન; કાંકરેજ તાલુકાના ચાંગા પંપીગ સ્ટેશને ખેડૂતોએ રામધૂન બોલાવી
કાચી કેનાલમાં પાણી છોડવા અને ગામ તળાવો ભરવા ખેડૂતોના ધરણાં; રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ અનેક તાલુકાઓમાં પાણીના મુદ્દે ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે. અત્યારે નર્મદા વિભાગ દ્વારા કાચી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા છેલ્લા સાત દિવસથી ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. ત્યારે આજે અગાઉના અલ્ટીમેટમ મુજબ કાંકરેજના ચાંગા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે અને ગામમાં આવેલા તળાવો પાણીથી ભરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે. તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર, લાખણી, કાંકરેજ,થરાદ અને ડીસા પંથકના ખેડૂતો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધરણા પર બેઠા છે. અને સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન પણ બોલાવી હતી. ખેડૂતોની માગણી છે કે ઉનાળાની ગરમીમાં પિયતના અભાવે પાકો સુકાઈ રહ્યા છે. તેથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે.અગાઉ પણ ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું કોઈ પરિણામ ન આવતા પાંચ તાલુકાના ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનોએ ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ધરણા પર બેઠા છે અને પાણીની માંગ કરી રહ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ પાંચ તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પણ પ્રબળ માંગણી કરી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી ઘરે જઈશું નહી અને ધરણા ચાલુ રાખીશું. પાણી ન છોડાય ત્યાં સુધી ધરણાં : ખેડૂત આગેવાન, આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું કે,અમારા વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલનુ પાણી મળતું હતું. સરકારે પાણી આપવાની જાહેરાત કરી હતી .તેના અનુસંધાને અમો ખેડૂતોએ ઉનાળુ વાવેતર કર્યું છે પરંતુ કેનાલ તેમજ તળાવોમાં પાણી બંધ કરવામાં આવતા અમોએ ના.કલેક્ટરને કેનાલમાં પાણી છોડવા આવેદન પત્ર આપ્યું હતું પરંતુ પાણી ચાલુ ન કરાતા અમો ખેડૂતો ચાંગા પંપીગ સ્ટેશન પર ધરણા પર બેઠા છીએ. અમારી સરકારને વિનંતી છે કે છ પમ્પ શરૂ કરી સુજલામ સુફલામ કેનાલમાં એક મહિના માટે પાણી છોડવામાં આવે પણ જો પાણી નહીં છોડવામાં આવે તો અમો ધરણાં ચાલુ રાખીશુ.

સંબંધિત સમાચાર