મંદિરમાં માટીની પાણી ભરેલી માટલી મૂકવાની પરંપરા જળવાઈ; રઘુવંશી અને લોહાણા સમાજ દ્વારા ઠંડા ભોજન સાથે પર્વની ઉજવણી
ડીસા તાલુકાના કુંપટ ગામે શ્રાવણ વદ સાતમના પવિત્ર પર્વ શીતળા સાતમ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શીતળા માતાજીના દર્શન અને પૂજન માટે કુંપટ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી પરંપરા મુજબ મંદિરમાં માટીની પાણી ભરેલી માટલી મૂકવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ વિવિધ માનતાઓ રાખી માતાજીની આરાધના કરી હતી. બાળકોથી લઈને વડીલો સુધીના લોકો ઉત્સાહભેર પર્વની ઉજવણીમાં જોડાયા હતા. કુંપટ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. જોકે શ્રાવણ વદ સાતમના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચે છે.
રઘુવંશી સમાજ દ્વારા શીતળા સાતમ નિમિત્તે તળાવનું પૂજન કરી પરંપરા જાળવી રાખવામાં આવી હતી. સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહી ઠંડું ભોજન આરોગ્યું હતું. શ્રી અખિલ લોહાણા સમાજ ડીસા દ્વારા પણ શીતળા સાતમની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં. લોહાણા સમાજના લોકો શીતળા માતાના મંદિરે એકત્રિત થઈ માતાજીની આરાધના કરી ઠંડો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.





