થરાદ શહેરમાં વેચાતી ફરસાણ અને મીઠાઈઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક ફરસાણના કેટલાક એકમોમાં ફૂડ સેફ્ટીના ધોરણોની કથિત અનદેખી કરીને વારંવાર એક જ તેલનો તળવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત, સામાન્ય નાગરિકોને રાંધણ ગેસના બોટલા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જ્યારે બીજી બાજુ ફરસાણની દુકાનોમાં ઘરગથ્થુ કે નિયમવિરુદ્ધ સિલિન્ડરોનો ખુલ્લેઆમ વપરાશ થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
ખાદ્ય સુરક્ષાના નિયમો અને તબીબી અભિપ્રાય મુજબ, વારંવાર ગરમ કરેલું કે રિસાયકલ થયેલું તેલ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. યોગ્ય દેખરેખ અને કડક નિયંત્રણોના અભાવે નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. જનહિતને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા થરાદની ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ઓચિંતું ચેકિંગ યોજવામાં આવે તેવી માંગણી વધી છે.
માવામાંથી બનતી મીઠાઈઓ શંકાના દાયરામાં
થરાદ શહેરમાં આવેલી અમુક ફરસાણની દુકાનોમાં ભેળસેળયુક્ત માવામાંથી મીઠાઈઓ બનાવીને વેચવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો આ વાતોમાં સત્યતા હોય તો જવાબદાર તંત્રએ ઊંડાણપૂર્વક તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જરૂરી બન્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે સઘન તપાસ ઝુંબેશ ચલાવી, તેલ તથા માવાના સેમ્પલ લઈ, નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે





