વસતીના સમીકરણો બદલાયા, સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું
વિવાદ સજૉતા SDMએ મામલતદારને ખરાઈનો આદેશ કર્યો
પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આવેલા પરંપરાગત 'ઝાપટપરા' વિસ્તાર આવેલો છે. આ વિસ્તારનું નામ સત્તાવાર મંજૂરી વગર બદલીને સરકારી કાગળો પર 'ઈસ્માઈલપરા' કરી દેવામાં આવ્યું છે.જેના પગલે સ્થાનિક રહીશો અને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. રહીશોના વિવિધ મહત્વના સરકારી દસ્તાવેજોમાં જૂના નામની જગ્યાએ નવું નામ ઉમેરાઈ ગયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારનું નામ બદલવા માટે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની સત્તાવાર દરખાસ્ત કે ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી.રહીશો દ્વારા ક્યારેય આવી કોઈ માંગણી પણ કરવામાં આવી નહોતી. આમ છતાં, સરકારી રેકોર્ડ પરથી જૂનું નામ હટાવીને નવું નામ કયા આધારે ચડાવવામાં આવ્યું તે અંગે તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં અગાઉ માત્ર હિન્દુ સમુદાયના લોકો જ વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં વસ્તીના સમીકરણો બદલાયા હતા. ચોક્કસ તત્વો દ્વારા વહીવટી તંત્ર સાથે મિલીભગત કરીને આ નામ બદલી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નામમાં થયેલા આ ફેરફારને કારણે રહીશોને વહીવટી સ્તરે પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ગંભીર મામલે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નાયબ કલેક્ટર એ જણાવ્યું હતું કે, હારીજ તાલુકાના વિસ્તારના નામ ફેરફાર બાબતની ઘટના ધ્યાને આવી છે. આ અંગે પ્રાંત અધિકારી (સમી) તથા મામલતદાર (હારીજ)ને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમની કક્ષાએથી વિગતવાર તપાસ કરીને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી
નામ બદલવા પાછળના ચોક્કસ કારણો કે આધાર અંગે પૂછતાં નાયબ કલેક્ટરે ઉમેર્યું હતું કે, આ અંગેની વિગતો હાલ ઉપલબ્ધ નથી અને મામલતદાર પાસેથી હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી. જોકે, તપાસના આદેશ આપી દેવાયા હોવાથી અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે." હાલમાં સરકારી તંત્ર આ મામલે જવાબદારો સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.





