સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની ચિત્રોડા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ૨૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો વિતરણ કરી સ્થળ પર જ પ્લોટનો ભૌતિક કબજો સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ઇડરના તાલુકા વિકાસ અધિકારી ભરત એન.ચૌધરીની ઉપસ્થિતિમાં આ સણદ વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીશ્રીએ લાભાર્થીઓને સ્થળ પર પ્લોટનો કબજો સુપ્રત કરી પોતાના સ્વપ્નનું પાકું ઘર નિર્માણ કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રાજ્યનો દરેક પાત્રતા ધરાવતો અને ઘરવિહોણો પરિવાર પોતાની છત મેળવી શકે. મફત પ્લોટની આ ફાળવણીથી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું પાકું મકાન બનાવવામાં નોંધપાત્ર સરળતા રહેશે અને તેમના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો આવશે. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ગ્રામજનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્લોટની સણદ તેમજ કબજો મળતા જ લાભાર્થીઓએ સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.





