સિદ્ધપુર હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ

સમયસર કારની એરબેગ ખુલી જતાં કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ
પાટણ જિલ્લાના સિદ્ધપુર બિંદુ સરોવર હાઈવે પર ગત મોડી રાત્રે રાજસ્થાનથી પથ્થર ભરીને આવી રહેલા ટ્રેલરના ચાલકે સામેથી આવતી એક કારને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રેલર બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં કારનો કુરચો બોલી ગયો હતો. જોકે,એરબેગ ખુલી જવાથી કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન તરફથી પથ્થર ભરીને આવી રહેલું એક ટ્રેલર સિદ્ધપુરના બિંદુ સરોવર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું.આ દરમિયાન સામેથી અચાનક એક અજાણી કારે વળાંક લેતા ટ્રેલર ચાલકે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી સ્ટિયરિંગ ફેરવ્યું હતું. આ પ્રયાસમાં ટ્રેલર બેકાબૂ બની બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલી એક કાર સાથે અથડાયું અને તેને ઢસડીને નજીકના ખાડામાં લઈ ગયું.અકસ્માતનો ભોગ બનેલી કારમાં સવાર યુવાનો સિદ્ધપુરમાં સંબંધીના લગ્ન પ્રસંગે મહેમાન તરીકે આવ્યા હતા. તેઓ પોતાના સંબંધીને પીકઅપ સ્ટેન્ડ પર મૂકીને કારમાં બેઠા હતા ત્યારે જ આ ઘટના બની હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સમયસર એરબેગ્સ ખુલી જતાં અંદર સવાર બંને યુવાનોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઘટનાના પગલે સ્થળ પર હાજર હોમગાર્ડ જવાન અને અન્ય જવાનોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જવાનોએ ભારે જહેમત ઉઠાવી કારમાં ફસાયેલા યુવાનો અને ઈજાગ્રસ્ત ટ્રેલર ચાલકને બહાર કાઢ્યા હતા.
ટ્રેલર ચાલકને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચા બોલી ગયા હતા અને પેટ્રોલ ટેન્કમાંથી ઈંધણ લીક થવાનું શરૂ થયું હતું. પેટ્રોલ લીકેજને કારણે આગ લાગવાની ભીતિ હોવાથી મોટી દુર્ઘટના નિવારવા માટે પોલીસ અને ફાયર વિભાગે સતર્કતા દાખવી હતી. પાલિકા ફાયર વિભાગ ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કર્યો અને કારની બેટરીના વાયરો કાપી નાખ્યા, જેના કારણે સંભવિત અગ્નિકાંડ ટળ્યો હતો. અડધી રાત્રે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
1 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
1 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
3 દિવસ પહેલા
