દિયોદર રોડ પર આખલાના હુમલામાં પ્રોઢ ગંભીર હદે ઘાયલ
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકા વિસ્તારમાં રખડતા આખલા અને ગાયોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે હવે આ પશુઓ રાહદારીઓ માટે જીવલેણ બની ગયા છે. ગઈકાલે સાંજે દિયોદર ત્રણ રસ્તા પાસે રાણકપુર ગામના કનુજી પોસાજી ઠાકોર નામના પ્રોઢ ખરીદી માટે થરા આવ્યા હતા. તે દરમિયાન એક ભૂરાન્ટા આખલાએ તેમના પર હુમલો કરતા તેઓ ગંભીર હદે ઘાયલ થયા હતા. આખલાએ તેમને પછાડી માથા, પગ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
સ્થાનિકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ હાલ તેમને વધુ સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ કોલેજ અને બાલ મંદિરના રસ્તાઓ પર આખલાઓના ઝુંડ નિયમિત જોવા મળે છે. એકલદોકલ વ્યક્તિઓ પર વારંવાર હુમલાના બનાવો બની રહ્યા છે. સર્વિસ રોડ પર આવેલ ગરનાળામાં શાકભાજીના વેપારીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સડેલા શાકભાજી અને ઘાસચારો નાખવાના કારણે રખડતા પશુઓનો આશ્રય વધ્યો છે. થરા નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓની લાપરવાહી સ્પષ્ટ જોવા મળી રહી છે.ગિરનારમાં સિંહના હુમલા સામે તંત્ર લાચાર હોય તેમ અહીં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ડીસા પ્રાંત અધિકારીને અપીલ છે કે તેઓ તાત્કાલિક દરમિયાનગીરી કરી કુંભકર્ણની નીંદમાં પોઢેલા ઓગડ તાલુકાના તંત્રને જાગૃત કરે અને રખડતા પશુઓને પાંજરે પૂરી લોકોના જીવ બચાવે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે ગંભીરતા દાખવી પ્રજાને રાહત આપવી જોઈએ.તેવી પણ પ્રજા માંગ ઉઠી રહી છે.





