પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકા વચ્ચે પોલીસ અને ફૂડ વિભાગે મોટું ઓપરેશન પાર પાડતાં શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.જેમાં ઇકો ગાડીમાંથી મળેલો જથ્થો તપાસતા મામલાની કડી સીધી સરસ્વતી તાલુકાના જાખા ગામ સુધી પહોંચી હતી.તપાસ દરમિયાન રૂ.50 હજારથી વધુ કિંમતનો શંકાસ્પદ પનીર અને માવો કબજે કરી સ્થળ પર જ નષ્ટ કરાયો છે, જ્યારે સેમ્પલ લેબમાં મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
મંગળવારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસને એક ઇકો ગાડીમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતાં પોલીસે ગાડી રોકી તપાસ કરતાં માલ શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગને જાણ કરાઈ હતી. ત્યારબાદ ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એચ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી અધિકારીઓએ પુરવઠાની કડી શોધતા જથ્થો જાખા ગામ સ્થિત એ.એમ.એન્ટરપ્રાઇઝનો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ એસ્કોર્ટ સાથે અધિકારીઓ પેઢી પર પહોંચ્યા બાદ માલિક મોહમ્મદ અલ્તાફ કૈયુબભાઈ મલપરાની હાજરીમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં શંકાસ્પદ એનાલોગ પનીરના બે અને માવા (ખોયા)નો એક સેમ્પલ સીલ કરીને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.કાર્યવાહી દરમિયાન રૂ.45,620 કિંમતનું 246 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર અને રૂ.5,320 કિંમતનો 18 કિલો માવો મળી આવ્યો હતો.





