બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પી.ડબલ્યુ.ડી. વિભાગ હસ્તકના શિહોરી-દિયોદર હાઈવે પર તાજેતરમાં તૈયાર કરાયેલા રોડમાં જ મોટા ખાડા પડી જતાં માર્ગની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
આકોલી નજીક રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતી દૃશ્યતા ન હોવાના કારણે આ ખાડાઓ ગંભીર અકસ્માતને નોતરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હોવા છતાં ટૂંકા ગાળામાં રોડ પર ખાડા પડવા લાગ્યા છે, ત્યારે માર્ગ નિર્માણમાં વપરાયેલી સામગ્રી, કામગીરીની ગુણવત્તા અને કોન્ટ્રાકટર એજન્સીની કામગીરી અંગે તપાસ થવી જરૂરી બની છે.
રાત્રિના સમયે ઝડપથી પસાર થતા વાહનચાલકો માટે અચાનક ખાડો સામે આવી જવો જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ ખાડાઓની તાત્કાલિક મરામત કરાવી રોડની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની માંગ ઉઠી છે.





